ભારે વરસાદ બાદ મધુબન ડેમમાં 46,668 ક્યુસેક પાણીની આવક; 6 દરવાજા 1.40 મીટર સુધી ખોલી 32,236 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું.
કપરાડા | Auranga Times : વલસાડ, સેલવાસ અને મહારાષ્ટ્ર વિસ્તારમાં છેલ્લા ત્રણેક દિવસથી વરસી રહેલા ભારે વરસાદની અસર હવે મધુબન ડેમમાં સ્પષ્ટ જોવા મળી રહી છે. જિલ્લાના સૌથી મોટા મધુબન ડેમમાં નવા નીરની આવક થતાં સમગ્ર વિસ્તારમાં આનંદનો માહોલ સર્જાયો છે.

કપરાડા વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી આજે મધુબન ડેમ પહોંચ્યા હતા, જ્યાં તેમણે નવા નીરના વધામણાં કર્યા અને મેઘરાજાની કૃપા બદલ પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી.

આ પ્રસંગે તેમણે મધુબન ડેમના કંટ્રોલ રૂમની મુલાકાત લઈને અધિકારીઓ પાસેથી ડેમમાં પાણીની આવક, જળસંગ્રહની સ્થિતિ અને ચોમાસાની હાલની પરિસ્થિતિ અંગે વિગતવાર માહિતી મેળવી હતી.

ધારાસભ્યએ વરસાદી સિઝન દરમિયાન ડેમનું સુચારૂ સંચાલન, સુરક્ષા વ્યવસ્થા, પાણીના સ્તર પર સતત નજર રાખવા તેમજ જરૂરિયાત મુજબ નીચાણવાળા વિસ્તારોમાં સમયસર સૂચનાઓ પહોંચાડવા અંગે અધિકારીઓને માર્ગદર્શન પણ આપ્યું.

કંટ્રોલ રૂમ પાસેથી મળતી માહિતી મુજબ હાલ મધુબન ડેમની જળસપાટી 72.32 મીટર નોંધાઈ છે. ડેમમાં 46,668 ક્યુસેક નવા નીરની આવક થઈ રહી છે. જ્યારે 1.40 મીટર સુધીના 6 દરવાજા ખોલીને 32,236 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

ડેમમાં સતત વધી રહેલા જળસંગ્રહને કારણે મધુબન ડેમ અને દમણગંગા નદી બંને સ્થળે મનોહર દૃશ્યો સર્જાયા છે, જેને નિહાળવા લોકો પણ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે.









