
ધરમપુર તાલુકાના ઉખડિયા ખાડી વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન સ્કૂલ વાનના ચાલક પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાઈ જવાની દુઃખદ ઘટના બાદ ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે ઘટનાસ્થળની મુલાકાત લઈ બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી.

ધારાસભ્યએ NDRF, પોલીસ વિભાગ તેમજ સ્થાનિક વહીવટી અધિકારીઓ સાથે બેઠક કરી ચાલી રહેલી શોધખોળ અને બચાવ કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે બચાવ કામગીરીમાં કોઈપણ પ્રકારની ઢીલાશ ન રહે તેમજ તમામ ઉપલબ્ધ સાધનો અને માનવબળનો ઉપયોગ કરીને શોધખોળ વધુ ઝડપી અને અસરકારક રીતે હાથ ધરવા સૂચના આપી હતી.

ત્યારબાદ તેમણે પીડિત પરિવારની મુલાકાત લઈ શોક વ્યક્ત કર્યો હતો અને આ કપરા સમયમાં ધૈર્ય રાખવા અપીલ કરી હતી. સાથે જ રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર તરફથી શક્ય તમામ સહાય અને સહયોગ ઉપલબ્ધ કરાવવામાં આવશે તેવી ખાતરી પણ આપી હતી.

હાલ NDRF, પોલીસ, ફાયર વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે શોધખોળની કામગીરી ચાલુ છે. ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાગરિકોને નદી, નાળા અને ખાડી જેવા જોખમી વિસ્તારોની નજીક જવાનું ટાળવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.












