રાજસ્થાન પ્રગતિ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટના આયોજનમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કર્યો શુભારંભ, 11 રક્તવીરોનું સન્માન

વાપીના સિલવાસા રોડ સ્થિત રાજસ્થાન ભવન ખાતે રાજસ્થાન પ્રગતિ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ (વાપી-દમણ-સિલવાસા) દ્વારા પૂર્વ કાઉન્સિલર (પાર્ષદ) અને પ્રખર સમાજસેવિકા સ્વર્ગીય મંજુ દાયમાની 19મી પુણ્યતિથિ નિમિત્તે ગુરુવારે વિશાળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ સમાજના વિવિધ વર્ગોમાંથી રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સાંજે 5 વાગ્યા સુધી કુલ 505 યુનિટ રક્ત એકત્ર થતાં આયોજકોનો 500 યુનિટનો લક્ષ્યાંક સફળતાપૂર્વક પાર થયો હતો.

કાર્યક્રમનો શુભારંભ ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વાપી મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન (VIA)ના હોદ્દેદારો સહિત અનેક રાજકીય, સામાજિક અને ઔદ્યોગિક ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન સમાજમાં નિયમિત રક્તદાન કરીને અનેક લોકોના જીવન બચાવવામાં યોગદાન આપનારા 11 રક્તવીરોનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ રક્તદાનને સર્વોત્તમ માનવસેવા ગણાવી વધુમાં વધુ લોકોને સ્વૈચ્છિક રક્તદાન માટે પ્રેરિત થવાની અપીલ કરી હતી.

આયોજક બી. કે. દાયમાંએ જણાવ્યા મુજબ સ્વ. મંજુ દાયમા જીવનભર સમાજસેવા અને રક્તદાન જાગૃતિ અભિયાન સાથે સક્રિય રીતે જોડાયેલા રહ્યા હતા. તેમના નિધન બાદ દાયમા પરિવાર અને રાજસ્થાન પ્રગતિ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે તેમની પુણ્યતિથિ નિમિત્તે આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. આજે આ શિબિર માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ માનવસેવાનો એક લોકઆંદોલન બની ગયો છે.

બી. કે. દાયમાંએ વધુમાં જણાવ્યું હતું કે રક્ત કોઈ ફેક્ટરીમાં બનતું નથી કે બજારમાં મળતું નથી. જરૂરિયાતમંદ દર્દીઓ સુધી સમયસર રક્ત પહોંચે તે માટે સ્વૈચ્છિક રક્તદાન જ એકમાત્ર વિકલ્પ છે. વાપી, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલી વિસ્તારની બ્લડ બેંકોમાં રક્તની અછત ન સર્જાય તે માટે આ અભિયાન વર્ષોથી સતત ચલાવવામાં આવી રહ્યું છે.
વાપી, વલસાડ, પારડી, દમણ, સિલવાસા તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં રક્તદાતાઓએ શિબિરમાં ભાગ લીધો હતો. દિવસભર ચાલેલી શિબિરમાં સાંજે 5 વાગ્યા સુધી કુલ 505 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું, જે આયોજકો માટે ગૌરવની બાબત બની હતી.
અંતમાં દાયમા પરિવારે રક્તદાન કરનારા તમામ રક્તદાતાઓ, મહેમાનો, ડોક્ટરો, બ્લડ બેંકની ટીમો, સ્વયંસેવકો અને કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામ વ્યક્તિઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.






