ભુજ: પ્રકૃતિ સંરક્ષણ દિવસ નિમિત્તે ભુજ-કચ્છ સ્થિત ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી (GUIDE) ના પર્યાવરણ મોનિટરિંગ એન્ડ એસેસમેન્ટ વિભાગ દ્વારા પર્યાવરણ જાગૃતિ માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત પર્યાવરણ વિષયક વેબિનાર તેમજ પ્લાસ્ટિકમુક્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવા પુનઃઉપયોગી કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત GUIDE ના ડેપ્યુટી ડિરેક્ટર અને વિભાગીય વડા ડૉ. કે. કાર્તિકેયન દ્વારા પ્રકૃતિ સંરક્ષણ દિવસના મહત્વ અને કાર્યક્રમની રૂપરેખા રજૂ કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ GUIDE ના ડિરેક્ટર ડૉ. વિજયકુમારે પ્રકૃતિ સંરક્ષણ, જૈવ વૈવિધ્યના રક્ષણ અને પર્યાવરણ પ્રત્યેની સામૂહિક જવાબદારી અંગે માર્ગદર્શન આપ્યું હતું.
વેબિનારમાં સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ કેરળના પર્યાવરણ વિજ્ઞાન વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. એસ. અનબાઝાગીએ “Indigenous Knowledge: A Vital Tool for Nature Conservation, Biodiversity Protection and Sustainable Living” વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું.
કાર્યક્રમમાં સ્વચ્છ ભારત મિશન (અર્બન), ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર અને ભાવનગરના જાણીતા તબીબ ડૉ. તેજસ દોશી વિશેષ આમંત્રિત મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના બીજા તબક્કામાં RUNR NGOના સહયોગથી GUIDE ના અધિકારીઓ અને કર્મચારીઓને 50 પુનઃઉપયોગી કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડીને કાપડની થેલીઓનો વધુમાં વધુ ઉપયોગ કરવાની પ્રેરણા આપવાનો હતો.
આ કાર્યક્રમમાં આશરે 50 અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ ઉપસ્થિતોએ પ્લાસ્ટિકમુક્ત જીવનશૈલી અપનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે ડૉ. તેજસ દોશીએ જણાવ્યું હતું કે, “પ્રકૃતિનું સંરક્ષણ માત્ર સરકારની નહીં, પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે. પ્લાસ્ટિકની થેલીઓના સ્થાને કાપડની થેલીઓનો નિયમિત ઉપયોગ કરીને આપણે પર્યાવરણ, જીવસૃષ્ટિ અને આવનારી પેઢી માટે સ્વચ્છ અને હરિયાળું ભવિષ્ય નિર્માણ કરી શકીએ છીએ.”
કાર્યક્રમનું આયોજન GUIDE ના પર્યાવરણ મોનિટરિંગ એન્ડ એસેસમેન્ટ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમે પ્રકૃતિ સંરક્ષણ અને પ્લાસ્ટિકમુક્ત જીવનશૈલી અંગે સકારાત્મક જનજાગૃતિ ફેલાવવાનો મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો.







