પારડી, સલવાવ અને વાપીમાં સાધુ-સંતો તથા વિહિપ-સંઘના પદાધિકારીઓ સાથે બેઠકો; રામ મંદિર મુદ્દે દોષિતો સામે કડક કાર્યવાહીની ખાતરી

વલસાડ | Auranga Times
વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ)ના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોકકુમાર ચાર દિવસના દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. પ્રવાસ દરમિયાન તેઓ સાધુ-સંતો સાથે વિશેષ મુલાકાતો ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિવિધ સ્તરના પદાધિકારીઓ સાથે બેઠક યોજી માર્ગદર્શન આપી રહ્યા છે.

પ્રવાસના પ્રથમ તબક્કામાં તેઓ ગત સાંજે પારડી સ્થિત સ્વાધ્યાય મંડળ ખાતે પહોંચ્યા હતા. અહીં ઋષિમુનિઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદના વલસાડ જિલ્લા, વિભાગ અને પ્રાંતના પદાધિકારીઓએ ખેસ ઓઢાડી તેમનું સન્માન કર્યું હતું.

આ બેઠક દરમિયાન તાજેતરના રામ મંદિર મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આલોકકુમારે ઉપસ્થિત કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું.

ત્યારબાદ તેઓ સલવાવ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પહોંચ્યા, જ્યાં પૂજ્ય કપિલસ્વામીએ તેમનું સ્વાગત કર્યું હતું. ગુરુકુલ ખાતે ભોજન તથા રાત્રિ રોકાણની વ્યવસ્થા કરવામાં આવી હતી.

પ્રવાસના આગામી દિવસે તેઓ વાપી ખાતે દક્ષિણ ગુજરાત પ્રાંતના કોષાધ્યક્ષ જિનેશભાઈ નહારના નિવાસસ્થાને યોજાયેલા નવકારશી અલ્પાહાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદના પ્રાંત, વિભાગ, જિલ્લા તથા પ્રખંડના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

બેઠક દરમિયાન આલોકકુમારે રામ મંદિર સંબંધિત ઘટનાની માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે “આ મામલે જે કોઈ દોષિત હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને કોઈને પણ છોડવામાં આવશે નહીં.”









