વાપીથી તાપી સુધી અસરગ્રસ્ત પરિવારોને સહાય અને વળતર માટે સર્વાંગી સહયોગની ખાતરી વ્યક્ત કરી

સેલવાસ: તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે સેલવાસ સહિત વાપીથી તાપી સુધીના અનેક કચ્છી ભાનુશાળી પરિવારોને ઘરવખરી તેમજ આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સંત શ્રી ઓધવરામ સત્સંગ મંડળ તથા શ્રી વાલરામ પાંજરાપોળ (રાતા તળાવ)ના હોદ્દેદારો દ્વારા શ્રી કચ્છી ભાનુશાળી સેવાવાસ મિત્ર મંડળના હોદ્દેદારો સાથે શુભેચ્છક મુલાકાત યોજાઈ હતી.

મુલાકાત દરમિયાન અસરગ્રસ્ત પરિવારોની હાલની સ્થિતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી તેમજ જરૂરિયાતમંદ ભાઈઓને સહાય, વળતર અને શક્ય તમામ પ્રકારના સહયોગ માટે સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે શ્રી વાલરામ પાંજરાપોળના પ્રતિનિધિ શ્રી મનજીભાઈ માવએ જણાવ્યું હતું કે, વરસાદ અને પૂરથી પ્રભાવિત દરેક પરિવાર સુધી સહાય પહોંચે તે માટે સંસ્થા સતત પ્રયત્નશીલ રહેશે.
સેવાવાસ મિત્ર મંડળના હોદ્દેદારોએ સંત શ્રી ઓધવરામ સત્સંગ મંડળ અને શ્રી વાલરામ પાંજરાપોળનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી સમાજની એકતા અને સેવાભાવને બિરદાવ્યો હતો.






