ભુજ-હરિદ્વાર ટ્રેન લંબાવવા સહિત મોરબી-મુંબઈ વંદે ભારત, ભુજ-થાણા નવી ટ્રેન અને મોરબી-અમદાવાદ-રાજકોટ સેવા શરૂ કરવાની રજૂઆત

ચોમાસુ સત્ર દરમિયાન કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે મુલાકાત કરી કચ્છ અને મોરબી વિસ્તારની રેલ સુવિધાઓને વધુ મજબૂત બનાવવા તથા નવી ટ્રેન સેવાઓ શરૂ કરવા અંગે વિવિધ રજૂઆતો કરી હતી.
સાંસદ વિનોદ ચાવડાએ કચ્છ-મોરબી વિસ્તારના મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને અનેક રેલ સેવાઓ અંગે રજૂઆત કરી હતી. તેમાં ભુજથી ઉપડતી ભુજ-સરાય રોહિલા ટ્રેનને હરિદ્વાર સુધી લંબાવવાની માંગનો પણ સમાવેશ થાય છે.
આ ઉપરાંત મોરબી-મુંબઈ વચ્ચે વંદે ભારત ટ્રેન સેવા, ભુજ-થાણા (મુંબઈ) વચ્ચે નવી રેલ સેવા શરૂ કરવા તેમજ ભુજ-ગાંધીધામથી ઉપડતી ટ્રેનોને માળિયા સ્ટોપેજ આપવા રજૂઆત કરવામાં આવી હતી.
કચ્છ અને ઉત્તર પ્રદેશ વચ્ચેની કનેક્ટિવિટી માટે ગાંધીધામ-ભાગલપુર ટ્રેન નંબર 09451ને કન્ટિન્યુ કરવા તેમજ કચ્છથી ઉત્તર પ્રદેશને જોડતી નમો ભારત ટ્રેન શરૂ કરવાની પણ માંગ કરવામાં આવી હતી. સાથે જ મોરબી-અમદાવાદ અને મોરબી-રાજકોટ વચ્ચે ટ્રેન સેવા શરૂ કરવા રજૂઆત કરવામાં આવી હોવાનું પ્રેસનોટમાં જણાવાયું છે.
સાંસદ વિનોદ ચાવડાના જણાવ્યા અનુસાર, કચ્છમાં ધંધા-રોજગાર માટે સ્થાયી થયેલા પરિવારો તેમજ ધાર્મિક સ્થળોની યાત્રા કરતા મુસાફરોને આ પ્રકારની નવી રેલ સેવાઓથી સુવિધા મળી શકે છે.
પ્રેસનોટ મુજબ, કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે રજૂઆતોની નોંધ લઈ સકારાત્મક અભિગમ દર્શાવ્યો હતો. રજૂઆત દરમિયાન સાંસદ સાથે ઉત્તર ભારતીય ડેલિગેશન પણ જોડાયું હતું.






