જાણો કૃષ્ણના અવતારનું રહસ્ય.
અત્યાર સુધી કૃષ્ણ એક મિત્ર અને ગુરુ તરીકે વાત કરતા હતા, પણ ચોથા અધ્યાયમાં તેઓ પોતાની દૈવી શક્તિનો પરિચય આપે છે. જ્યારે અર્જુનને પ્રશ્ન થયો કે, “હે કૃષ્ણ, તમારો જન્મ તો હમણાં થયો છે, તો તમે કરોડો વર્ષો પહેલા આ જ્ઞાન સૂર્યને આપ્યું હતું એવું કેવી રીતે બને?”
ત્યારે કૃષ્ણ એક અદભૂત સત્ય જણાવે છે.
ભગવાનનો અવતાર કેમ થાય છે?
શ્રીકૃષ્ણ કહે છે, “હે અર્જુન! તારા અને મારા ઘણા જન્મો થઈ ગયા છે, પણ તને તે યાદ નથી, મને બધું જ યાદ છે.” ત્યારબાદ ગીતાનો સૌથી પ્રખ્યાત શ્લોક આવે છે:
યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત ।
અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ્ ॥ (શ્લોક 8)
પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ્ ।
ધર્મસંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે ॥ (શ્લોક 8)
હે ભારત (અર્જુન)! જ્યારે-જ્યારે ધર્મની ગ્લાનિ (હાની) થાય છે અને અધર્મનો ઉત્થાન (વધારો) થાય છે, ત્યારે-ત્યારે હું અવતાર ધારણ કરું છું. સજ્જનોના રક્ષણ માટે, દુષ્ટોના વિનાશ માટે અને ધર્મની પુનઃ સ્થાપના કરવા માટે હું યુગે-યુગે પ્રકટ થાઉં છું.
ભગવાન સમજાવે છે કે જેમ અગ્નિ લાકડાને બાળીને ભસ્મ કરી દે છે, તેમ ‘જ્ઞાનનો અગ્નિ’ માણસના તમામ પાપો અને ખરાબ કર્મોને બાળી નાખે છે. જે વ્યક્તિ પાસે જ્ઞાન છે, તેને દુનિયાની કોઈ પણ મુશ્કેલી વિચલિત કરી શકતી નથી.
ન હિ જ્ઞાનેન સદૃશં પવિત્રમિહ વિદ્યતે ।
તત્સ્વયં યોગસંસિદ્ધઃ કાલેનાત્મનિ વિંદતિ ॥ (શ્લોક 38)
આ સંસારમાં જ્ઞાન સમાન પવિત્ર કરનારું બીજું કાંઈ જ નથી. જે માણસ લાંબા સમય સુધી નિઃસ્વાર્થ ભાવે કર્મયોગ કરે છે, તે સમય જતાં તે જ્ઞાનને પોતાની મેળે જ આત્મામાં મેળવે છે.
આ અધ્યાયમાં એક ચેતવણી પણ છે: “સંશયાત્મા વિનશ્યતિ” એટલે કે જે વ્યક્તિ હંમેશા શંકા કર્યા કરે છે, તેને આ લોકમાં કે પરલોકમાં ક્યાંય શાંતિ મળતી નથી. સફળતા મેળવવા માટે જ્ઞાનની સાથે ‘શ્રદ્ધા’ પણ હોવી જરૂરી છે.
અજ્ઞશ્ચાશ્રદ્દધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ ।
નાયં લોકોડસ્તિ ન પરો ન સુખં સંશયાત્મનઃ ॥ (શ્લોક 40)
વિવેકબુદ્ધિ વગરનો, શ્રદ્ધા વગરનો અને સતત શંકાશીલ રહેનારો માણસ પતન પામે છે. આવી સંશયગ્રસ્ત વ્યક્તિ માટે ન તો આ લોક (દુનિયા)માં કોઈ સુખ છે, ન પરલોકમાં.
આજના જીવન માટે બોધ
સાચું જ્ઞાન મેળવવા માટે વિનમ્ર બનીને ગુરુ પાસે જવું જોઈએ અને સેવાભાવથી પ્રશ્નો પૂછવા જોઈએ.
કામ એવી રીતે કરો કે તેમાં તમારો અહંકાર ન ભળે. જ્યારે ‘હું કરું છું’ એ ભાવ નીકળી જાય, ત્યારે કામ બોજ નથી લાગતું.
“શું તમને ક્યારેય એવો અનુભવ થયો છે કે જ્યારે તમે સાચા હોવ ત્યારે કુદરતે તમને રસ્તો બતાવ્યો હોય?” કૉમેન્ટમાં જણાવો.





