રાજ્યમાં ખાદ્યચીજોમાં થતી ભેળસેળ સામે સરકારી તંત્રએ લાલ આંખ કરી છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલા સરીગામ વિસ્તારમાંથી ભેળસેળની આશંકા વચ્ચે એક મોટા સમાચાર મળી રહ્યા છે. સરીગામ બાયપાસ નજીક આવેલા શોપિંગ સેન્ટરમાં કાર્યરત M/S. સાવરિયા ડેરી’ (M/S. Sawariya Dairy) ના ગોડાઉન/દુકાન પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે અચાનક દરોડા પાડ્યા છે.
અધિકારીઓની ટીમે સ્થળ પર પહોંચી ‘ફોર્મ-વીએ’ (Form-VA) હેઠળ કાયદેસરની નોટિસ આપીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન તંત્ર દ્વારા શંકાસ્પદ પનીર તેમજ ઘીના નમૂના (સેમ્પલ્સ) લેવામાં આવ્યા છે. આ તમામ નમૂનાઓને નિયમ અનુસાર સ્થળ પર જ સીલ કરવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, આ તમામ સેમ્પલ્સને સઘન ચકાસણી અને પૃથ્થકરણ માટે રાજકોટ અને વડોદરાની સરકારી લેબોરેટરી ખાતે મોકલવામાં આવશે. લેબ રિપોર્ટ આવ્યા બાદ જો આ ખાદ્ય પદાર્થોમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ કે ક્ષતિ માલૂમ પડશે, તો સંબંધિત વેપારી સામે ફૂડ સેફ્ટી એક્ટ અંતર્ગત કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આ અગાઉ પણ આ ચોક્કસ સ્થળે વિવિધ ખાદ્યચીજોના નમૂના લઈ કાયદેસરની કાર્યવાહી કરેલી છે. વિસ્તારમાં લાંબા સમયથી અનેક સ્થળોએ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ થતી હોવાની વ્યાપક ફરિયાદો અને ચર્ચાઓ ચાલી રહી હતી, જેના આધારે તંત્ર દ્વારા આ ચોક્કસ આયોજનબદ્ધ રેઇડ કરવામાં આવી છે. આ રેઇડને પગલે સમગ્ર સરીગામ અને ઉમરગામ પંથકના ભેળસેળિયા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.








