વાપી જીઆઇડીસી પોલીસ મથકમાં નોંધાયેલા ખંડણી અને ધમકીના કેસમાં પત્રકાર જીતેન્દ્ર કિશોરભાઈ વડવેકરને વાપીની સેશન્સ કોર્ટમાંથી રાહત મળી છે. વાપીની 3જી એડિશનલ સેશન્સ કોર્ટના જજ શ્રી હેમાંગકુમાર પંડ્યા દ્વારા આ કેસમાં કાયદાના ‘સમાનતાના સિદ્ધાંત’ (Law of Parity) ને ગ્રાહ્ય રાખીને પત્રકારની આગોતરા જામીન અરજી શરતોને આધીન મંજૂર કરવામાં આવી છે.
વાપી જીઆઇડીસીની એક કંપની દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, આરોપીઓએ કંપની વિરુદ્ધ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) માં ખોટી ફરિયાદો કરી હતી. ત્યારબાદ કંપની બંધ કરાવી દેવાની તેમજ ક્રિમિનલ કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને ખંડણી ઉઘરાવવામાં આવી હોવાનો આક્ષેપ મૂકાયો હતો.
અરજદાર પત્રકારના બચાવ પક્ષના વકીલ યોગેશ એસ. રાવલ દ્વારા અદાલતમાં દલીલ કરવામાં આવી હતી કે, આ જ ગુનામાં સંડોવાયેલા અન્ય સહ-આરોપીઓને નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા અગાઉથી જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. તેથી કાયદાના ‘સમાનતાના સિદ્ધાંત’ મુજબ અરજદાર પણ જામીન મેળવવા પાત્ર બને છે. બચાવ પક્ષે સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓ અને કાનૂની દ્રષ્ટાંતો પણ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા.
સામાન્ય રીતે સહ-આરોપીઓને હાઈકોર્ટમાંથી જામીન મળ્યા હોય ત્યારે અન્ય આરોપીઓએ પણ હાઈકોર્ટ સુધી લડત આપવી પડતી હોય છે, પરંતુ આ કિસ્સામાં નીચલી અદાલતે (વાપી સેશન્સ કોર્ટે) જ સમાનતાના સિદ્ધાંતનો સ્વીકાર કરીને સેશન્સ કોર્ટ સ્તરેથી જ સીધા આગોતરા જામીન મંજૂર કર્યા છે, જે કાનૂની દ્રષ્ટિએ મહત્વનું ગણાય છે.
કોર્ટે નોંધ્યું હતું કે અરજદારની કસ્ટોડિયલ પૂછપરછની કોઈ જરૂર જણાતી નથી. બંને પક્ષોની વિસ્તૃત દલીલો અને પોલીસ તપાસના કાગળોની ચકાસણી કર્યા બાદ, કોર્ટે પત્રકાર જીતેન્દ્ર વડવેકરને ₹ 15,000/- ના પર્સનલ બોન્ડ અને કેટલીક શરતોને આધીન આગોતરા જામીન પર મુક્ત કરવાનો હુકમ ફરમાવ્યો છે. આ ચુકાદાથી સ્થાનિક પત્રકારો અને મીડિયા જગતમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.







