આગામી તા. 21 જુનના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી થનાર છે ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને યોગ સાથે સંકળાયેલી સંસ્થાઓ યોગનો મહત્તમ પ્રચાર પ્રસાર થઈ શકે તે માટે પ્રયત્નો કરી રહી છે જે અંતર્ગત વલસાડ જિલ્લા આયુર્વેદ શાખા અને માહિતી કચેરી ના સંયુક્ત ઉપક્રમે યોગ વિશે જનજાગૃતિ આવે તે માટે ઝુંબેશ હાથ ધરાઈ છે. આ વર્ષની થીમ ‘‘યોગ ફોર હેલ્ધી એજિંગ’’ છે.વ્યક્તિ વૃદ્ધાવસ્થામાં પણ ત્યારે જ સ્વસ્થ રહી શકે જ્યારે બાલ્ય અને યુવાવસ્થામાં સારામાં સારી જીવનશૈલી અપનાવવામાં આવે આ અંતર્ગત આજે મહિલાઓમાં યોગના મહત્વ વિશે આપણે જાણકારી મેળવીશું.
વલસાડ આયુર્વેદ શાખાના સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો.દિવ્યા સોલંકી ( એમ.એસ) સ્ત્રી રોગ અને પ્રસુતિ તંત્ર નિષ્ણાંત જણાવે છે કે, યોગ એ ફક્ત શારીરિક સ્વાસ્થ્ય માટે જ નહીં પણ માનસિક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. નિયમિત યોગ કરવાથી ઘણી ગંભીર સમસ્યાઓથી છુટકારો મળી શકે છે. સ્ત્રીઓનું શરીર પુરુષો કરતાં અલગ હોય છે. સ્ત્રીઓમાં આજના સમયમાં જોવા મળતા રોગો પીસીઓડી વંધ્યત્વ અનિયમિત માસિક, પેઢામાં દુખાવો, ચીડીયાપણું વગેરે તકલીફોમાં નિયમિત યોગ ઘણો જ ફાયદાકારક સાબિત થયો છે. યોગ નિયમિત કરવાથી માનસિક તણાવ ઓછો થાય છે અને બીજા ઘણા શારીરિક ફાયદાઓ પણ મળે છે.
મહિલાઓમાં નિયમિત કરી શકાય તેવા આસનોમાં બાલાસન, સેતુબંધાસન, શવાસન સુખાસન, વિપરીત કરણી, સૂર્ય નમસ્કાર, ચંદ્ર નમસ્કાર, પશ્ચિમોતાસન, ધનુરાસન, ભુજંગાસન, ચક્કી ચલનાસન, ભદ્રાસન, મલાસન અને મત્સ્યાસન વગેરેનો સમાવેશ થાય છે. આવો જાણીએ થોડા મહિલાઓ માટેના આ યોગ આસનો વિશે, જેનો ઉપયોગ કરીને તે પોતાની વધતી ઉંમરમાં દરેક બીમારીને પોતાનાથી દૂર રાખીને પોતાને ફિટ રાખી શકે છે.
- ભુજંગાસન- તમને તમારા શરીરના ઉપરના ભાગમાં ખેંચાણનો અનુભવ કરાવે છે પરંતુ તે ચહેરા પર ચમક પણ લાવે છે. પેઢા ના ભાગમાં લોહીનું પરિભ્રમણ વધારે છે
- ધનુરાસન- આ આસન કરવાથી સ્થૂળતા તો ઓછી થાય જ છે સાથે સાથે તમારા બોડીનો શેપ યોગ્ય રહે છે. તે તમારા આખા શરીરને સારી રીતે સ્ટ્રેચ કરવાનું કામ કરે છે.
- બટરફ્લાય પોઝ- આ આસન કરવાથી પીરિયડ્સ નિયમિત રહે છે, સાથે જ તે તમારી જાંઘ અને પગની માંસપેશીઓને મજબૂત કરવાનું કામ કરે છે.
- ચક્કી ચાલનાસન- આ આસન કરવાથી ગર્ભાશય, અંડાશય, કિડની સહિત શરીરના ઘણા ભાગો મજબૂત બને છે.
- બાલાસન- આ આસન કરવાથી આખું શરીર સ્ટ્રેચ થાય છે, જેના કારણે વ્યક્તિના દુખાવામાં રાહત અનુભવાય છે, સાથે જ તે કોઈપણ પ્રકારના તણાવને દૂર કરવામાં મદદ કરે છે.
- ઉત્કટાસન- આ કસરત કમર, હિપ્સ અને જાંઘ માટે શ્રેષ્ઠ છે. આ પગને મજબૂત બનાવવાની સાથે તેમને આકારમાં લાવવામાં મદદ કરે છે.
- સેતુબંધાસન- આ આસન શરીરના નીચેના ભાગને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તે તમારી પીઠ અને હિપ્સના દુખાવામાં પણ રાહત આપે છે.
- પશ્ચિમોત્તાનાસન – શરીર અને મન બંનેને હળવા કરવામાં મદદ કરે છે, છાતી અને ખભાના તળાવની ઘટાડે છે તેમજ રક્ત પરિભ્રમણને સુધારે છે, ઉપરાંત થાક અને તળાવમાં પણ ઘટાડો કરે છે. પીઠના સ્નાયુઓને લચીલા બનાવે છે અને પીઠના દુખાવામાં પણ રાહત આપે છે.
- વિપરીત કરણી – માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે ઉપરાંત પગનો થાક ઘટાડે છે અને અનિંદ્રાની સમસ્યામાં મહત્વનો ભાગ ભજવે છે અને સારી ઊંઘ લાવે છે.
આ બધા જ આસનોનો અભ્યાસ નિયમિત કરવો જરૂરી છે, જેથી તેનો મહત્તમ લાભ મળી શકે. આ ઉપરાંત આસનો નિષ્ણાંતના માર્ગદર્શન હેઠળ જ કરવા જેથી ભૂલોને નકારી શકાય. જો કાળજી રાખી યોગ્ય રીતે યોગ આસનો ન કરવામાં આવે તો ક્યારેક ફાયદાના બદલે નુકસાન પણ થઈ શકે છે.







