
જૂન મહિનો અડધો નીકળી ગયો તોય હજી ચોમાસું કેમ બેઠું નથી?—આજકાલ સોશિયલ મીડિયાથી લઈને ચાની કિટલીઓ પર આ એક જ ચર્ચા ચાલી રહી છે. અંગ્રેજી કેલેન્ડર અને પશ્ચિમી કલ્ચર પાછળ ઘેલા થયેલા આપણે દર વર્ષે જૂનના પ્રથમ કે બીજા સપ્તાહમાં વરસાદની આશા રાખીને બેસી જઈએ છીએ. પરંતુ, આપણે એ ભૂલી જઈએ છીએ કે ભારતની ઋતુઓ અંગ્રેજી તારીખો જોઈને નથી બદલાતી, એ તો આપણા સનાતન પંચાંગના નક્ષત્રો અને તિથિઓ પ્રમાણે ચાલે છે!
આ વર્ષે વિક્રમ સંવત મુજબ ‘જેઠ અધિક માસ’ હતો, જે હમણાં જ પૂરો થયો છે. આપણા વિદ્વાનો અને ઋષિ-મુનિઓએ હજારો વર્ષ પહેલાં એવી અદ્ભુત અને સચોટ ખગોળીય ગણતરીઓ કરી છે, જેના આધારે નક્કી થયેલું છે કે ચોમાસું મુખ્યત્વે અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો મહિનામાં જ હોય.
આજે ભલે જૂન મહિનો અડધો વીતી ગયો હોય, પણ જો તમે આપણું પંચાંગ જોશો તો ખ્યાલ આવશે કે હજી તો વિધિવત રીતે ‘અષાઢ’ મહિનો બેઠો જ નથી! જેવો અષાઢ બેસશે, એટલે કુદરત પોતાનો ક્રમ જાળવીને મેઘરાજાની પધરામણી કરાવશે જ. વિચારો, આપણા પૂર્વજોનું સ્પેસ અને વેધર સાયન્સ કેટલું પાવરફુલ હશે કે જેમાં સેટેલાઇટ વગર પણ સેંકડો વર્ષો પહેલાં જે ઋતુચક્ર લખાયું, તે આજે પણ એટલું જ પરફેક્ટ સાબિત થાય છે! અફસોસ એ વાતનો છે કે આપણે આપણા આ મહાન વિજ્ઞાનને ભૂલીને પશ્ચિમી કેલેન્ડરના ગુલામ બની રહ્યા છીએ.
એક તરફ કુદરત પોતાના નિયમ મુજબ ચાલે છે, તો બીજી તરફ આજકાલ મીડિયામાં એક અનોખું ‘ચોમાસું’ ક્યારનુંય બેસી ગયું છે! કેટલીક ચેનલોના પત્રકારો રોજનો સ્ટોરી કોટા પૂરો કરવા અને ₹50-150 કમાવવા કે સોશિયલ મીડિયાવાળા માત્ર વ્યૂઝ મેળવવા ગજબનું ‘એડિટિંગ વિજ્ઞાન’ ચલાવે છે.
કોઈ ચોક્કસ સોસાયટી કે નાનકડા વિસ્તારમાં મુત્તર જેટલા (નામ પૂરતો) વરસાદ પડે, ત્યાં તો આ ભાઈઓ કેમેરા ત્રાસા ગોઠવીને અને હોરર બેકગ્રાઉન્ડ મ્યુઝિક મૂકીને એવો માહોલ ઊભો કરે છે જાણે આખું વલસાડ પૂરની ઝપેટમાં આવી ગયું હોય!
આ વાહિયાત સમાચારોની નકારાત્મક અસર એ થાય છે કે વલસાડ જેવા ઔદ્યોગિક જિલ્લામાં અન્ય રાજ્યો કે જિલ્લામાંથી રોજગારી માટે આવેલા શ્રમિકો અને કર્મચારીઓના વતનમાં રહેતા સગા-સંબંધીઓ ભારે ચિંતામાં મુકાઈ જાય છે અને ગભરાઈને ફોન કરવા લાગે છે. સનસનાટી મચાવતા આવા તત્વોએ જરાક તો શરમ રાખવી જોઈએ કે તેમના ખોટા પ્રચારોથી લોકોમાં કેટલો મોટો હડકંપ મચે છે!
કુદરત અને ભગવાન પર ભરોસો રાખો. અંગ્રેજી તારીખોના આધારે ચિંતિત થવા કરતાં આપણા ઋષિ-મુનિઓના જ્ઞાનને સમજો. અષાઢ મહિનો બેસવા દો, મેઘરાજા ધમાકેદાર પધારશે જ! સોશિયલ મીડિયાના ખોટા હાવ અને અફવાઓથી દૂર રહો અને આપણી ભવ્ય સંસ્કૃતિના સાયન્સ પર ગર્વ કરો.




