--Advertisement here--

ગીરમાં સિંહો પર ‘ઈતરડી’નો કહેર: લોહી ચૂસતા પરોપજીવીઓ લઈ રહ્યા છે સિંહોનો ભોગ

On: May 27, 2026 3:56 AM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

માલધારીઓના પશુઓ પર પણ ખતરો; વનવિભાગ દ્વારા જંગલમાં સઘન સર્વેલન્સ

એશિયાટિક સિંહોના એકમાત્ર નિવાસસ્થાન એવા સાસણ ગીર અને આસપાસના વિસ્તારમાં છેલ્લા 10 દિવસમાં બે સિંહબાળ (કબ્સ) સહિત કુલ 5 સિંહોના મોતના સમાચારથી વનવિભાગ અને વન્યજીવ પ્રેમીઓમાં ચિંતા વ્યાપી ગઈ છે. પ્રાથમિક તપાસમાં આ મોત પાછળ ‘બેબસીયા’ (Babesia) નામનું ઇન્ફેક્શન જવાબદાર હોવાની આશંકા સેવાઈ રહી છે.

જોકે, રાજ્યના વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ સ્પષ્ટતા કરી છે કે આ કોઈ રોગચાળો (Epidemic) નથી, પણ છૂટાછવાયા કેસ છે અને વનતંત્ર દ્વારા તમામ જરૂરી આગોતરા પગલાં લેવામાં આવી રહ્યા છે.

શું છે આ CDV અને બેબસીયા? (વાયરસ અને પરોપજીવીનો તફાવત)

અહેવાલો અનુસાર સિંહોમાં અગાઉ પણ આ પ્રકારના રોગ જોવા મળ્યા છે. આ બંને રોગો વિશે વિગતવાર સમજીએ:

  • બેબસીયા (Babesiosis): આ કોઈ વાયરસ નથી, પરંતુ ‘પ્રોટોઝોઆ’ (એકકોષી પરોપજીવી જીવાત) છે. તે ખાસ કરીને જંગલમાં કે પશુઓ પર જોવા મળતી ઈતરડી (Ticks) કરડવાથી સિંહોના શરીરમાં પ્રવેશે છે. આ જીવાત સિંહોના લોહીના રાતા કણો (RBC) પર હુમલો કરે છે, જેનાથી સિંહોમાં પાંડુરોગ (એનિમિયા), અત્યંત નબળાઈ, ખાંસી અને નાકમાંથી પાણી પડવા જેવા લક્ષણો દેખાય છે. પ્રતિકારક શક્તિ ઓછી હોવાને કારણે સિંહબાળ આનો જલ્દી ભોગ બને છે.

CDV (કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ): આ એક અત્યંત ઘાતક વાયરસ છે જે સામાન્ય રીતે ચેપગ્રસ્ત શ્વાન (કૂતરાઓ) દ્વારા વન્યજીવોમાં ફેલાય છે. તે સિંહોની રોગપ્રતિકારક શક્તિ સંપૂર્ણપણે તોડી નાખે છે. જ્યારે CDV અને બેબસીયા બંને ભેગા થાય (જેમ કે 2018માં થયું હતું), ત્યારે તે સિંહો માટે જીવલેણ સાબિત થાય છે.

વન્યજીવો અને પાલતુ પશુઓ પર અસર:  બેબસીયા મુખ્યત્વે ઈતરડી (Ticks) દ્વારા ફેલાતો હોવાથી, જંગલના અન્ય તૃણાહારી પ્રાણીઓ તેમજ ગીરની આસપાસના નેસ વિસ્તારમાં રહેતા માલધારીઓના ગાય-ભેંસ જેવા પાલતુ પશુઓમાં પણ આ ઇન્ફેક્શન ફેલાઈ શકે છે.

ચિંતાનું કારણ: જો પશુઓમાં ઈતરડીનું પ્રમાણ વધે તો દૂધાળા પશુઓ બીમાર પડે છે અને તેમની દૂધ ઉત્પાદન ક્ષમતા ઘટે છે. જોકે, આ રોગ બિન-ચેપી (Non-contagious) શ્રેણીમાં આવે છે, એટલે કે તે હવામાં ફેલાતો નથી પરંતુ માત્ર ઈતરડી કરડવાથી જ એકમાંથી બીજા પશુમાં જાય છે.

સિંહોના મોત બાદ વનતંત્ર એક્શન મોડમાં:

ઘટનાની ગંભીરતાને જોતા ગુજરાત વન વિભાગ અને વેટરનરી ડોક્ટરોની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે નીચે મુજબના પગલાં ભરવામાં આવ્યા છે:

10 સિંહો આઇસોલેશનમાં: ગીર પશ્ચિમ રેન્જમાંથી નબળાઈ અથવા લક્ષણો ધરાવતા 10 સિંહોને રેસ્ક્યુ કરીને એનિમલ કેર સેન્ટરમાં ઓબ્ઝર્વેશન (નિરીક્ષણ) હેઠળ રાખવામાં આવ્યા છે અને તેમની સારવાર શરૂ કરાઈ છે.

  • ઈતરડી નિયંત્રણ (Tick Control): તુલસીશ્યામ, ખાંભા અને ધારી રેન્જ સહિતના વિસ્તારોમાં આશરે 350થી વધુ સિંહો પર આગોતરી ડી-વોર્મિંગ (કૃમિનાશક) અને ઈતરડી મુક્ત કરવાની ટ્રીટમેન્ટ કરવામાં આવી છે.

સઘન સર્વેલન્સ અને સેમ્પલિંગ: ગીર ઈસ્ટ અને વેસ્ટની તમામ રેન્જમાં ટ્રેકર્સ અને બીટ ગાર્ડ્સ દ્વારા સિંહોના ગ્રૂપનું 24 કલાક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. શંકાસ્પદ સિંહોના બ્લડ અને ટિશ્યુ સેમ્પલ લઈને લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે.

પ્રોજેક્ટ લાયન અંતર્ગત આધુનિકીકરણ: કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ‘પ્રોજેક્ટ લાયન’ હેઠળ ગુજરાતમાં વર્લ્ડ ક્લાસ ‘નેશનલ રેફરલ સેન્ટર ફોર વાઇલ્ડલાઇફ હેલ્થ’ વિકસાવવામાં આવી રહ્યું છે, જેથી આવા વન્યજીવ રોગોનું વહેલું નિદાન અને સચોટ સારવાર થઈ શકે.

વન વિભાગનો સંદેશ: ગીરમાં સિંહોની વસ્તી વર્ષ 2025ની ગણતરી મુજબ 891 સુધી પહોંચી છે. હાલની સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે અને કોઈ મોટો રોગચાળો ફેલાયો નથી, જેથી નાગરિકો કે પ્રકૃતિપ્રેમીઓએ ગભરાવાની જરૂર નથી.

error: Content is protected !!