વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના પાલી કરમબેલી ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અન્ય પુરુષ સાથેના પ્રેમસંબંધની શંકાને લઈને થયેલા પારિવારિક ઝઘડામાં માતાએ પોતાના જ ત્રણ માસૂમ સંતાનોને મોતને ઘાટ ઉતારી દીધા હોવાનો આરોપ સામે આવ્યો છે. બાદમાં મહિલાએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
પોલીસ મુજબ પાલી કરમબેલી ગામે રહેતા સંજયભાઈ હળપતિ અને પત્ની નિશાબેન વચ્ચે મોબાઈલમાં મળેલા પ્રેમસંબંધના મેસેજને લઈને ઝઘડો થયો હતો. સંજયે પત્નીને બાળકો મૂકીને જવાની વાત કરતા મહિલાએ રાત્રિના સમયે 2 વર્ષની દીકરી નાયરા અને 9 માસના જોડિયા દીકરાઓ આયંશ તથા વિહાનની હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે.
વહેલી સવારે બાળકો બેભાન હાલતમાં મળતા પરિવારજનોએ 108 મારફતે હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં તબીબોએ ત્રણેયને મૃત જાહેર કર્યા હતા. મહિલાની હાલ સારવાર ચાલી રહી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ હોસ્પિટલ ખાતે પૂછપરછ દરમિયાન આરોપી મહિલાએ કબૂલ્યું હતું. પતિ સાથે થયેલા ઝઘડા અને પ્રેમસંબંધમાં બાળકો નડતરરૂપ બનશે તેવી માનસિકતા વચ્ચે આ કૃત્ય કર્યું હોવાનું તેણે સ્વીકાર્યું હોવાનું જાણવા મળ્યું છે.
આ સમગ્ર મામલે સરીગામ પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમ 103(1) હેઠળ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. વાપી ડિવિઝનના ઇન્ચાર્જ DySP જે. કે. પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.





