વાપી મહાનગરપાલિકામાં ગુરુવારે મેયર, ડેપ્યુટી મેયર અને કારોબારી ચેરમેન સહિતના મહત્વના હોદ્દાઓ માટે ભાજપ દ્વારા નામોની જાહેરાત થવાની છે. આ સંદર્ભે ખાસ સામાન્ય સભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તે પહેલાં બુધવારે કોંગ્રેસ પક્ષ દ્વારા વાપી સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજી પોતાના રાજકીય વલણ અંગે સ્પષ્ટતા કરવામાં આવી હતી.
પત્રકાર પરિષદમાં કોંગ્રેસના આગેવાનો પીરૂ મકરાણી, ખંડુભાઈ પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસે જણાવ્યું હતું કે શહેરના વિકાસલક્ષી અને પ્રજાહિતના કામોમાં તેઓ ભાજપને પૂર્ણ સહકાર આપશે, પરંતુ જ્યાં ક્યાં પ્રજાના હિતોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થશે ત્યાં કોંગ્રેસ મજબૂત વિપક્ષ તરીકે પોતાની જવાબદારી નિભાવશે.
કોંગ્રેસના આગેવાન પીરૂ મકરાણીએ જણાવ્યું હતું કે, “અમારો ઉદ્દેશ માત્ર રાજકારણ કરવાનો નથી, પરંતુ શહેરના લોકોના પ્રશ્નોને વાચા આપવાનો છે. વિકાસના કાર્યોમાં અમે સકારાત્મક અભિગમ રાખી સહકાર આપીશું, પરંતુ જનહિત વિરુદ્ધના કોઈપણ નિર્ણય સામે કોંગ્રેસ અવાજ ઉઠાવશે.”
આગેવાનોએ વધુમાં મનપામાં પારદર્શક વહીવટ, નાગરિક સુવિધાઓમાં સુધારો અને પ્રજાના પ્રશ્નોના ઝડપી નિરાકરણની માંગ પણ ઉઠાવી હતી. સાથે જ કોંગ્રેસે આગામી સમયમાં શહેરના મુદ્દાઓને લઈને જનઆંદોલનાત્મક કાર્યક્રમો કરવાની પણ ચેતવણી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, વાપી મનપાની સત્તામાં ભાજપના નવા હોદ્દેદારોની જાહેરાત પહેલાં કોંગ્રેસ દ્વારા અપાયેલું આ નિવેદન શહેરના રાજકારણમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. કેમ કે હોદ્દેદારોમાં કોંગ્રેસના આગેવાનને પણ હોદો આપવો પડશે. જે બાદ વિપક્ષ કોઈ બળવો પોકારે તે પહેલા જ તેને ડામી દેવાની સ્ટ્રેટેજી પણ તૈયાર થઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.






