રાજયોગ ધ્યાન અને આધ્યાત્મિક મૂલ્યો દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી ઘડતરમાં શિક્ષકોની ભૂમિકાને વધુ મજબૂત કરવાનો અનોખો પ્રયાસ
આજના ઝડપી અને પરિવર્તનશીલ યુગમાં શિક્ષણ જગતના પથદર્શક એવા શિક્ષકોમાં આંતરિક શાંતિ, મૂલ્યનિષ્ઠ જીવનશૈલી અને સકારાત્મકતાનો વિકાસ થાય તેવા ઉમદા હેતુ સાથે ઉદવાડામાં એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા આયોજિત આ સેમિનારનો વિષય “શિક્ષકો – ભવિષ્યના શિલ્પી” રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં શિક્ષણ જગતના અગ્રણીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પરંપરાગત દીપ પ્રાગટ્ય અને ઈશ્વરીય સ્મૃતિ સાથે કરવામાં આવી હતી. આ ગરિમાપૂર્ણ અવસરે શિક્ષણ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં:
- કિશોરભાઈ ગાંધી (ટ્રસ્ટી, શાંતાબા સ્કૂલ)
- પ્રજ્ઞેશભાઈ પટેલ (વલસાડ જિલ્લા કાર્યકારી પ્રમુખ)
- બી.કે. રંજન દીદી (સુરત સબઝોન ડાયરેક્ટર)
- બી.કે. પારૂલ બહેન અને બી.કે. મીનલ બહેન સુરેખાબેન (આચાર્ય, અશ્વમેઘ સ્કૂલ)
- આકાંક્ષાબેન ગાંધી (આચાર્ય, શાંતાબા મીડિયમ ઈંગ્લિશ સ્કૂલ)
- ધારા પટેલ (પ્રિન્સિપાલ, પી.પી. મિસ્ત્રી ઇંગ્લિશ સ્કૂલ)
- આશા દેસાઈ (પ્રિન્સિપાલ, ગાંધી વિદ્યાલય)
શિક્ષક માત્ર જ્ઞાન આપનાર નથી, ભાવિ પેઢીના ઘડવૈયા છે
સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે બ્રહ્માકુમારી રંજનીદીદી, પારુલબેન અને મીનલ બેને શિક્ષકોને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, શિક્ષક માત્ર પુસ્તકીય જ્ઞાન આપનાર વ્યક્તિ નથી, પરંતુ તેઓ સમાજના ભવિષ્યના સાચા ઘડતરકાર છે. આજના તણાવપૂર્ણ સમયમાં શિક્ષકો માટે આંતરિક સ્થિરતા અને તણાવમુક્ત મન ખૂબ જ જરૂરી છે. જો શિક્ષક પોતે સકારાત્મક અને શાંત હશે, તો જ તેઓ વિદ્યાર્થીઓનું સર્વાંગી ઘડતર કરી શકશે.”
કાર્યક્રમ દરમિયાન બ્રહ્માકુમારીઝ દ્વારા રાજયોગ ધ્યાન (Meditation) અને આધ્યાત્મિક જ્ઞાનના માધ્યમથી જીવનમાં સંતુલન અને શાંતિ કેવી રીતે જાળવવી તેની સુંદર સમજૂતી અને પ્રાયોગિક અભ્યાસ કરાવવામાં આવ્યો હતો.
સેમિનારમાં ઉપસ્થિત તમામ શિક્ષકો અને પ્રિન્સિપાલશ્રીઓએ આ આયોજનને ખૂબ જ ઉપયોગી અને સમયાનુકૂળ ગણાવ્યું હતું. તેઓએ લાગણી વ્યક્ત કરી હતી કે આવા આધ્યાત્મિક કાર્યક્રમો શિક્ષણ ક્ષેત્રે કામ કરવા માટે એક નવી ઊર્જા, ઉત્સાહ અને નવી દિશા પ્રદાન કરે છે.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ આમંત્રિત મહેમાનો અને શિક્ષકગણનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સેમિનારના સમાપન બાદ તમામ માટે પ્રસાદરૂપે પવિત્ર ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ અને સુચારુ સંચાલન બી.કે. વિનુભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.










