દિલ્હીના જંતર-મંતર પર 6 જૂને મોટા આંદોલનની જાહેરાત
સોશિયલ મીડિયા પર માત્ર થોડા જ દિવસોમાં કરોડો યુવાનોને પોતાની તરફ આકર્ષિત કરનાર સેટાયરિકલ (વ્યંગાત્મક) રાજકીય મૂવમેન્ટ ‘કોક્રોચ જનતા પાર્ટી’ (CJP) હવે ડિજિટલ દુનિયામાંથી બહાર આવીને ગ્રાઉન્ડ લેવલ પર આંદોલન કરવા જઈ રહી છે. પાર્ટીના સ્થાપક અને બોસ્ટન (અમેરિકા) સ્થિત પબ્લિક રિલેશન્સ સ્ટ્રેટેજિસ્ટ અભિજીત દીપકેએ જાહેરાત કરી છે કે તેઓ 6 જૂન (શનિવાર) ના રોજ ભારત પરત ફરી રહ્યા છે અને દિલ્હીના ઐતિહાસિક જંતર-મંતર ખાતે એક વિશાળ શાંતિપૂર્ણ પ્રદર્શનનું નેતૃત્વ કરશે.
શું છે સમગ્ર મામલો અને મુખ્ય માંગ?
તાજેતરમાં દેશમાં NEET-UG, CBSE, CUET અને SSC-GD જેવી મોટી પરીક્ષાઓમાં થયેલી કથિત ગેરરીતિઓ અને પેપર લીકની ઘટનાઓ સામે યુવાનોમાં ભારે રોષ છે. અભિજીત દીપકેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X અને ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો જાહેર કરીને જણાવ્યું છે કે, આ સિસ્ટમની ખામીઓને કારણે કરોડો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે.
તેમની મુખ્ય માંગણી એ છે કે આ ગંભીર બેદરકારીની જવાબદારી સ્વીકારીને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તાત્કાલિક પોતાના પદ પરથી રાજીનામું આપવું જોઈએ.

અભિજીત દીપકેનું નિવેદન:
આજે NEET ના 22 લાખ, CBSE ના 17 લાખ, CUET ના 16 લાખ અને SSC-GD ના 40 લાખ મળીને 1 કરોડથી વધુ વિદ્યાર્થીઓના ભવિષ્યની મજાક ઉડાવવામાં આવી છે. જો આટલી મોટી ભૂલ પછી પણ શિક્ષણ મંત્રી રાજીનામું ન આપે, તો દેશમાં કોઈ જવાબદારી જ નથી બચી. અમે ભારતના બંધારણના દાયરામાં રહીને સંપૂર્ણપણે અહિંસક અને શાંતિપૂર્ણ રીતે અમારો અવાજ ઉઠાવીશું.
6 જૂનનો આખો પ્લાન (Step-by-Step)
અભિજીત દીપકેએ પોતાના સમર્થકો અને પીડિત વિદ્યાર્થીઓને આ રીતે જોડાવા અપીલ કરી છે:
- શનિવાર સવારે: અભિજીત દીપકે અમેરિકાથી દિલ્હી એરપોર્ટ પહોંચશે, જ્યાં તેઓ સમર્થકોને એકઠા થવા માટે આહ્વાન કરી રહ્યા છે.
- પોલીસ પરમિશન: એરપોર્ટથી સીધા જ તેઓ પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન જશે અને જંતર-મંતર પર શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન માટે સત્તાવાર મંજૂરી માંગશે.
- શાંતિપૂર્ણ આંદોલન: મંજૂરી મળ્યા બાદ જંતર-મંતર ખાતે દેશભરના યુવાનો અને વિદ્યાર્થીઓ ભેગા થઈને વિરોધ પ્રદર્શન શરૂ કરશે.
જેલ જવાના ડર પર શું કહ્યું?
અભિજીત દીપકેએ જણાવ્યું કે તેમના મિત્રો અને પરિવારજનોને તેમના ધરપકડની ચિંતા છે, પરંતુ તેઓ ડર્યા વગર ભારત આવી રહ્યા છે. તેમણે કહ્યું, “હું ગાંધી, આંબેડકર, ભગત સિંહ અને નેહરુનો મોટો પ્રશંસક છું. આપણે ક્યાં સુધી ડરમાં જીવીશું? આ દેશ કોઈ એક પક્ષનો નથી, આપણા બધાનો છે.” તેમણે એ પણ ખુલાસો કર્યો કે વિદ્યાર્થીઓના સમર્થન માટે તેમણે અમેરિકામાં મળેલી મલ્ટીપલ જોબ ઓફર્સ પણ ઠુકરાવી દીધી છે.

કોક્રોચ જનતા પાર્ટીની પૃષ્ઠભૂમિ
યાદ અપાવી દઈએ કે સુપ્રીમ કોર્ટની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સૂર્યા કાંત દ્વારા નકલી ડિગ્રી ધારકો અને સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ્સ સંદર્ભે વપરાયેલા ‘કોક્રોચ’ (વંદો) શબ્દના વિરોધમાં 16 મેના રોજ આ ડિજિટલ પેજ શરૂ કરાયું હતું. જોતજોતામાં ઇન્સ્ટાગ્રામ પર તેના 20 મિલિયન (2 કરોડ) થી વધુ ફોલોઅર્સ થઈ ગયા હતા અને તે દેશની સૌથી મોટી ઓનલાઈન યુવા ચળવળ બની ગઈ છે. આ મૂવમેન્ટની ઓનલાઈન પિટિશન પર અત્યાર સુધીમાં 8 લાખથી વધુ લોકો સહી કરી ચૂક્યા છે.










