“ભગવાન કેવા દેખાય છે? જ્યારે અર્જુને કૃષ્ણના વિરાટ સ્વરૂપમાં આખું બ્રહ્માંડ જોયું.”
અત્યાર સુધી અર્જુને ભગવાનના મુખેથી તેમની વિભૂતિઓ વિશે સાંભળ્યું હતું, પણ હવે તેના મનમાં એ જોવાની તીવ્ર ઈચ્છા જાગી. તેણે વિનંતી કરી, “હે પ્રભુ! તમે જે ઐશ્વર્યનું વર્ણન કર્યું, તે મારે નજરે જોવું છે.” અને ત્યારે ભગવાને અર્જુનને એવી દ્રષ્ટિ આપી જે સામાન્ય માણસ પાસે નથી હોતી.
દિવ્ય ચક્ષુ (Divine Vision)
શ્રીકૃષ્ણ કહે છે, “હે અર્જુન! તારી આ માનવ આંખોથી તું મને જોઈ શકીશ નહીં, તેથી હું તને ‘દિવ્ય દ્રષ્ટિ’ આપું છું.”
ન તુ માં શક્યોસે દ્રષ્ટુમનેનૈવ સ્વચક્ષુષા ।દિવ્યં દદામિ તે ચક્ષુઃ પશ્ય મે યોગમૈશ્વરમ્ ॥ (શ્લોક 8)
અર્થ: પરંતુ તું તારી આ પ્રાકૃતિક આંખો દ્વારા મને જોઈ શકાવા સમર્થ નથી; આથી હું તને દિવ્ય દ્રષ્ટિ (આંખો) આપું છું, તેનાથી તું મારી પ્રભાવશાળી યોગશક્તિને જો.
ત્યારબાદ ભગવાન પોતાનું વિરાટ સ્વરૂપ પ્રગટ કરે છે. એક એવું સ્વરૂપ જેમાં હજારો મુખ, હજારો આંખો અને અગણિત હાથ હતા. આ સ્વરૂપનું તેજ હજારો સૂર્ય એકસાથે આકાશમાં ઉગે તેના જેવું હતું.
વિરાટ સ્વરૂપમાં આખું બ્રહ્માંડ
અર્જુને જોયું કે ભગવાનના એ એક જ શરીરમાં:
બધા જ દેવતાઓ, ઋષિઓ અને દિવ્ય સર્પો દેખાયા.
આખું બ્રહ્માંડ – પૃથ્વી, આકાશ અને સ્વર્ગ – તેમનામાં જ સમાયેલું હતું.
અર્જુને એ પણ જોયું કે કૌરવો અને પક્ષના મોટા-મોટા યોદ્ધાઓ ભગવાનના મુખમાં સમાઈ રહ્યા હતા (જે ભવિષ્યના વિનાશનો સંકેત હતો).
દિવિ સૂર્યસહસ્રસ્ય ભવેદ્યુગપદુત્થિતા ।
યદિ ભાઃ સદૃશી સા સ્યાદ્ભાસસ્તસ્ય મહાત્મનઃ
અર્થ: આકાશમાં એકસાથે હજારો સૂર્ય ઉગી નીકળે અને તેમનો જે પ્રકાશ થાય, તે પ્રકાશ પણ એ મહાત્મા વિશ્વરૂપ ભગવાનના પ્રકાશની બરાબરી કદાચ જ કરી શકે.
કાલોઽસ્મિ લોકક્ષયકૃત્પ્રવૃદ્ધો લોકાન્સમાહર્તુમિહ પ્રવૃત્તઃ ।
ઋતેઽપિ ત્વાં ન ભવિષ્યન્તિ સર્વે યેઽવસ્થિતાઃ પ્રત્યનીકેષુ યોધાઃ ॥
અર્થ: હું લોકનો નાશ કરનારો મહાબળવાન ‘કાળ’ (સમય) છું. અત્યારે આ લોકનો સંહાર કરવા માટે પ્રવૃત્ત થયો છું. સામે પક્ષે ઉભેલા આ તમામ યોદ્ધાઓ તારા યુદ્ધ ન કરવા છતાં પણ જીવતા બચવાના નથી (એટલે કે કાળના મુખમાં હોવાથી તેમનો વિનાશ નક્કી જ છે).
આ ભવ્ય અને ભયાનક સ્વરૂપ જોઈને અર્જુન ધ્રૂજી ઉઠ્યો. તેને સમજાયું કે અત્યાર સુધી જેની સાથે તે મિત્ર તરીકે મજાક કરતો હતો, તે તો આખા જગતનો માલિક છે. તેણે હાથ જોડીને માફી માંગી:
“હે પ્રભુ! મેં જાણતા-અજાણતા તમને ‘મિત્ર’ કહીને જે બોલાવ્યા છે, તે બદલ મને ક્ષમા કરો.”
સખેતિ મત્વા પ્રસભં યદુક્તં હે કૃષ્ણ હે યાદવ હે સખેતિ ।
અજાનતા મહિમાનં તવેદં મયા પ્રમાદાત્પ્રણયેન વાપિ ॥
અર્જુને વિનંતી કરી કે પ્રભુ, ફરી તમારા સૌમ્ય અને ચતુર્ભુજ રૂપમાં આવી જાઓ, કારણ કે આ વિરાટ તેજ હું સહન કરી શકતો નથી.

કિરીટિનં ગદિનં ચક્રહસ્તમિચ્છામિ ત્વાં દ્રષ્ટુમહં તથૈવ ।
તેનૈવ રૂપેણ ચતુર્ભુજેન સહસ્રબાહો ભવ વિશ્વમૂર્તે ॥
અર્થ: હે વિશ્વમૂર્તે! હે સહસ્રબાહો! હું આપને અગાઉની જેમ જ મુંગુટ ધારણ કરેલા તથા હાથમાં ગદા અને ચક્ર લીધેલા જોવા ઈચ્છું છું. આપ ફરીથી આપના એ જ ચતુર્ભુજ સ્વરૂપમાં પ્રગટ થાઓ.
આજના જીવન માટે બોધ
નમ્રતા: ગમે તેટલા મોટા યોદ્ધા હોઈએ, પણ ઈશ્વરની શક્તિ સામે આપણે એક નાનકડા કણ સમાન છીએ.
કાળનું મહત્વ: ભગવાન કહે છે, “હું જ કાળ (સમય) છું.” સમય શક્તિશાળી છે અને તે જ પરિવર્તન લાવે છે.









