ભગવાન શ્રીકૃષ્ણના જીવનમાં અનેક સંબંધો આવ્યા અને અને તેના અદ્ભુત પ્રસંગો છે. તેમના અને સુદામા વચ્ચેની દિવ્ય મિત્રતા આજે પણ યુગ યુગાંતરથી એક ઉત્તમ ઉદાહરણ છે. આ એક એવા પવિત્ર સંબંધની વાત છે. જે દૌલત, પદ, પ્રતિષ્ઠા કે કોઈ સ્વાર્થના પાયા પર નહીં, પરંતુ માત્ર નિઃસ્વાર્થ પ્રેમ, અતૂટ વિશ્વાસ અને આત્મીયતા પર ટકેલો હતો.
ગરીબ બ્રાહ્મણ એવા સુદામા પોતાના પરિવારની આર્થિક મુશ્કેલીઓ અને ગરીબાઈમાં હતા. તેમની પત્નીના વારંવારના આગ્રહ પછી, તેઓ ભારે સંકોચ સાથે પોતાના બાળસખા શ્રીકૃષ્ણને મળવા દ્વારકા ગયા હતાં. દ્વારકાના રાજાને આપવા માટે તેમની પાસે ભેટ- સૌગાદ સ્વરૂપે કશું જ નહોતું, માત્ર એક ફાટેલા કપડામાં બાંધેલા થોડાક પૌંઆ હતા.
દ્વારકાધીશે જ્યારે સાંભળ્યું કે તેમના બાળ સખા સુદામા આવ્યા છે, ત્યારે તેઓ પોતાની ખુશીને રોકી નહીં શક્યા. તરત જ સિંહાસન પરથી ઊભા થઈ દોડ્યા. સુદામાને હૃદયપૂર્વક ગળે વળગી ગયા.
એક રાજા હોવા છતાં, સુદામાને પોતાના સિંહાસન પર બેસાડ્યા, તેમના ચરણ ધોયા અને મિત્રતાનું સર્વોચ્ચ સન્માન આપ્યું. શ્રીકૃષ્ણે સુદામાના એ સાદા પૌંઆને દુનિયાની સૌથી અમૂલ્ય ભેટ સમજીને ઉમળકાભેર આરોગ્યા.
આ અદ્ભુત દિવ્ય પ્રસંગ આપણને શીખવે છે કે સાચી મિત્રતા પદ, પ્રતિષ્ઠા, વૈભવ, સામાજિક મોભાથી ઘણી ઉપર હોય છે. જે વ્યક્તિ માત્ર તમારા સુખ અને વૈભવમાં તમારી સાથે હોય, તે કદાચ સાચો મિત્ર ન પણ હોય.
સાચો મિત્ર એ જ છે, જે તમારા જીવનના સૌથી કપરા સમય સંકટમાં પણ તમારી સાથે ઢાલ બનીને ઊભો રહે.
આજના આધુનિક અને સ્વાર્થી સમયમાં જ્યાં સંબંધો માત્ર ‘લેવડ-દેવડ’ અને લાભ પર ટકેલા છે, ત્યાં કૃષ્ણ-સુદામાની મિત્રતા આપણને યાદ અપાવે છે કે સાચા સંબંધોમાં અપેક્ષાને કોઈ સ્થાન નથી હોતું.
એટલે જ કહ્યું છે કે, જે મિત્ર તમારા સંઘર્ષ અને મુશ્કેલીમાં તમારી સાથે અડીખમ ઊભો રહે, તેને જીવનમાં ક્યારેય ગુમાવશો નહીં.
જય શ્રી કૃષ્ણ









